તા. ૧૮.૬.ર૦૧૧ સમય ઃ ૩ઃ૩૦
પાણીયા શાળામાં જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલ સહિતનાં નેતાઓની
ઉપસ્થિતિમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવનો નવા ભુલકાઓને પાટી પેન, દફતર,શાળાનાં એક થી ત્રણ
ક્રમાંકે આવેલ બાળકોને ઈનામ અને આંગણવાડીના બાળકો માટે
રમતના સાધનોનું વિતરણ કરાયું હતું. જે પ્રસંગે નાના ભુલકાઓ કુતુહલ સાથે
ઉત્સાહિત થઈ શાળામાં પ્રવેશ લીધો હતો. જેઓનું સ્વાગત કુમકુમ તિલક દ્વારા
કરવામાં આવ્યું હતું. પાણીયા શાળામાં ૩ કુમાર અને ૫ કન્યાઓ મળી ૮ બાળકોને
પ્રવેશ અપાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખ શ્રીમતી રશ્મિકાબેન પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી રથયાત્રા શરૂ કરી
પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી.તેમણે ગામેગામ જંગલમાં ધોમધખતા તાપમાં ફરીને
બેટીઓને ભણાવવા અપીલ કરતાં આજે શાળા કોલેજોમાં દિકરીઓ ભણતી થઈ છે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે પ્રથમ શૈક્ષણિક સત્રમાં શાળા–પ્રવેશોત્સવ અને બીજા સત્રમાં ગુણોત્સવના અભિયાનો હાથ ધરવામાં આવ્યા તેની સાથોસાથ કુપોષણ સામે લડાઇનું અભિયાન ઉપાડીને આવતીકાલની પેઢી, કન્યા કિશોરી અને સગર્ભા માતાને પોષણક્ષમ આહાર મળે, બાળકોના સ્વસ્થ શારિરીક વિકાસ માટે શાળા આરોગ્ય પરિક્ષણ અભિયાન, બાલભોગ અને મધ્યાન્હ ભોજન યોજના, તિથીભોજન અને આંગણવાડીની નવીનત્તમ અનેક પહેલ કરી છે . સમાજ શકિતનો ઉમળકાભર્યો પ્રતિસાદ જ ગુજરાતને નિરક્ષરતાના કલંકથી મૂકત કરશે અને કુપોષણ સામેની લડાઇમાં જીત થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.